Home Uncategorized Exclusive : ગુજરાતના મુખ્યમંત્રી પદનું સુકાન નીતિન પટેલના હાથમાં સોંપવાનો નિર્ણય કેમ...

Exclusive : ગુજરાતના મુખ્યમંત્રી પદનું સુકાન નીતિન પટેલના હાથમાં સોંપવાનો નિર્ણય કેમ પડતો મુકવામાં આવ્યો ?

Face Of Nation, 13-09-2021 : ભાજપના ઉદય માટે સિંહ ફાળો કહી શકાય અને ગુજરાતના મુખ્યમંત્રી પદેથી વિશ્વમાં છવાઈ જનારા નરેન્દ્ર મોદી જયારે ભારતના વડાપ્રધાન બન્યા ત્યારે ગુજરાતના મુખ્યમંત્રી પદને લઈને અનેક અટકળો શરૂ થઇ ગઈ હતી. નરેન્દ્ર મોદીના અનુગામી કોણ બનશે તે અંગે અનેક ચર્ચાઓ ઉઠી હતી. આ ચર્ચામાં સૌથી મોખરે અમિત શાહ અને આનંદીબેન પટેલનું નામ ચર્ચામાં હતું સાથે જ અન્ય સિનિયર નેતાઓના નામો પણ ચર્ચામાં હતા. જો કે નરેન્દ્ર મોદીએ તેમના અનુગામી તરીકે આનંદીબેન પટેલની નિયુક્તિ કરી અને તેમને ગુજરાતનું મુખ્યમંત્રી પદ સોંપીને ગુજરાતના ઇતિહાસના પ્રથમ મહીલા મુખ્યમંત્રી બનાવ્યા. હાલની પરિસ્થિતિ જોતા અને ભાજપના રાજકીય સૂત્રો પાસેથી મળેલી માહિતી પ્રમાણે, ગુજરાતના મુખ્યમંત્રી પદનું સુકાન નીતિન પટેલના હાથમાં સોંપવાનું હતું પરંતુ નીતિન પટેલે જે તે સમયે પક્ષ સામે ચડાવેલી બાંયોને કારણે તેમને પડતા મુકવામાં આવ્યા છે.
મહિલા મુખ્યમંત્રી આનંદીબેન પટેલે જે સમયે શપથ લીધા ત્યારે તેમને ખબર નહોતી કે રાજકારણમાં જ તેમની વિરોધી લોબી એટલે કે અમિત શાહ જૂથ બંધ બારણે તેમના વિરોધમાં લાગી ગયું છે. જેમાં આનંદીબેન પટેલને તેમના પરિવાર સહિતના લોકો સામે આક્ષેપો સહન કરવાનો વારો આવ્યો હતો. જો કે આ દરમ્યાન જ હાર્દિક પટેલને ઉભો કરીને પાટીદાર અનામત આંદોલન ઉભું કરવામાં આવ્યું અને આ અનામત આંદોલને આનંદીબેનને રાજીનામુ ધરી દેવા મજબુર કર્યા. સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે, તે સમયે આનંદીબેન પટેલની માંગ હતી કે ગુજરાતની ગાદી તેમના અનુગામી તરીકે નીતિન પટેલને સોંપવામાં આવે. કેમ કે નીતિન પટેલ આનંદીબેનના જૂથના માનવામાં આવે છે. જો કે મોવડી મંડળે તેમની આ માંગ ન સ્વીકારી અમિત શાહની માંગને આધારે વિજય રૂપાણીને મુખ્યમંત્રી પદે નિયુક્ત કર્યા. જો કે બહેનની નારાજગી ટાળવા નીતિન પટેલને નાયબ મુખ્યમંત્રી બનાવવાં આવ્યા અને સમય આવ્યે નીતિનભાઈને નાયબ મુખ્યમંત્રીમાંથી મુખ્યમંત્રી બનાવી દેવામાં આવશે તેમ કહીને ભાજપના મોવડી મંડળે બહેનને રાજ્યપાલ બનાવીને તેમની નારાજગી દૂર કરી દીધી હતી.
જો કે નીતિન પટેલે ભાજપ સામે જ ખાતાની વહેંચણી બાબતે વિરોધનો સુર ઓકતા ભાજપમાં ધમાસણ મચી ગયું હતું. આ બાબતથી નરેન્દ્ર મોદી સહિતના અનેક ભાજપના દિગ્ગ્જ નેતાઓ નારાજ થયા હતા. આનંદીબહેન પણ નીતિન પટેલની આવી કામગીરીથી નારાજ થયા હતા. જો કે બીજી બાજુ વિજય રૂપાણી મુખ્યમંત્રી પદે નિષ્ફ્ળ જઈ રહ્યા હતા. હવે આ સમયે ફરી એક વાર નરેન્દ્ર મોદીએ ગુજરાતનું સુકાન આનંદીબેન પટેલના હાથમાં સોંપી પહેલા સીઆરને પ્રદેશ પ્રમુખ બનાવ્યા બાદ તેમના જ માર્ગદર્શન હેઠળ કામગીરી કરવા તેમના અત્યંત વિશ્વાસુ અને સ્વચ્છ પ્રતિભા ધરાવતા ભુપેન્દ્ર પટેલને મુખ્યમંત્રી બનાવવાનું નક્કી કરવામાં આવ્યું.
આનંદીબેન પટેલના જૂથના વર્ચસ્વની શરૂઆત થતાની સાથે જ ફરીથી અમિત શાહને સાઈડ લાઈન કરવામાં આવ્યાનું ચિત્ર ખડું થયું છે. કેમ કે, ગુજરાતના રાજકારણની નાની મોટી તમામ ઘટનાઓમાં હાજરી આપીને સાક્ષી બનનાર અને જાહેરાત કરનારા અમિત શાહ આ સમયે હાજર રહ્યા નહોતા. દિલ્હીથી માત્ર નેતાઓની ટિમ આવી હતી અને રૂપાણીએ નવા મુખ્યમંત્રીના નામનો પ્રસ્તાવ મુક્યો હતો. નીતિન પટેલ જો પક્ષ વિરુદ્ધ ન ગયા હોત તો આજે મુખ્યમંત્રી પદે તેઓની નિયુક્તિ ચોક્કસ થઇ શકી હોત તેમ કહેવામાં કોઈ બે મત નથી. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)