Home Gujarat ‘145મી રથયાત્રા રંગેચંગે’ નીકળશે, ગૃહરાજ્ય મંત્રીએ મંદિરમાં પોલીસ અધિકારીઓ સાથે કરી મીટિંગ,...

‘145મી રથયાત્રા રંગેચંગે’ નીકળશે, ગૃહરાજ્ય મંત્રીએ મંદિરમાં પોલીસ અધિકારીઓ સાથે કરી મીટિંગ, હર્ષ સંઘવીએ ‘ભગવાન જગન્નાથ’ની ઉતારી આરતી!

Face Of Nation 13-05-2022 : ભગવાન જગન્નાથ દર વર્ષે અષાઢી બીજના દિવસે અમદાવાદમાં નગરચર્યાએ નીકળે છે. પરંતુ કોરોના મહામારીને કારણે સતત બે વર્ષ સુધી ભગવાનની રથયાત્રા ભક્તો વિના જ નીકળી હતી. પરંતુ આ વર્ષે એટલે કે 1 જુલાઈએ જમાલપુર જગન્નાથ મંદિર દ્વારા ભગવાન જગન્નાથની 145મી રથયાત્રા રંગેચંગે કાઢવામાં આવશે. રથયાત્રાની તૈયારીમાં આજે ગૃહરાજ્ય મંત્રી શહેર પોલીસ કમિશનર અને ટોચના અધિકારી જગન્નાથ મદિર પહોંચ્યા હતા. આજે ગૃહરાજ્ય મંત્રીએ મંદિરમાં આરતી ઉતારી હતી.આ વખતે નિર્વિઘ્ને રથયાત્રા શહેરના માર્ગ પર નીકળે તે માટે પોલીસ અધિકારીઓ સાથે ચર્ચા કરી હતી.
પોલીસ અધિકારીઓ સાથે ચર્ચાઓ કરી
કોરોના બાદ હવે જનજીવન સામાન્ય બની ગયું છે. ત્યારે આગામી પહેલી જુલાઈએ અમદાવાદમાં તમામ પ્રકારની તાકાત સાથે ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળશે. આ માટે પોલીસ દ્વારા પ્લાનિંગ કરી દેવામાં આવ્યું છે. આજે ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ મંદિરમાં જઈને ભગવાનની આરતી ઉતારી હતી. તે ઉપરાંત શહેરમાં રથયાત્રા નીકળે તે માટે પોલીસ અધિકારીઓ સાથે ચર્ચાઓ પણ કરી હતી.
અખાત્રિજના દિવસે ત્રણેય રથનું પૂજન કરાયું
ભગવાન જગન્નાથ અમદાવાદમાં દર વર્ષે અષાઢી બીજના દિવસે નગરચર્યાએ નીકળે છે. ભગવાન જગન્નાથની રથયાત્રા પહેલા વૈશાખ સુદ ત્રીજ એટલે કે અખાત્રીજના દિવસે ત્રણેય રથનું પૂજન કરવામાં આવે છે. મંદિરના મહંત દિલીપદાસજી મહારાજ અને ટ્રસ્ટી મહેન્દ્ર દ્વારા આ વખતે અખાત્રિજે ત્રણેય રથનું પૂજન કરવામાં આવ્યું હતું. વૈદિક મંત્રોચ્ચાર અને વિશિષ્ટ મહાપૂજા સાથે ભગવાન જગન્નાથ, ભાઈ બલરામ અને બહેન સુભદ્રાના એમ ત્રણેય રથનું ભક્તો અને મંદિરના સેવકોની હાજરીમાં પૂજન કરવામાં આવ્યું હતું.
ટ્રકો અને હાથી, અખાડા સાથે નીકળશે રથયાત્રા
જમાલપુર જગન્નાથ મંદિરના ટ્રસ્ટી મહેન્દ્ર ઝાએ જણાવ્યું હતું કે, આ વર્ષે ભગવાન જગન્નાથની રથયાત્રા પરંપરાગત રીતે હાથી, અખાડા, ભજન મંડળી તેમજ શણગાર કરેલી ટ્રકો સાથે નીકળશે. ભગવાન જગન્નાથની રથયાત્રા ભક્તોની હાજરીમાં નીકળશે અને લોકો ભગવાનના દર્શન કરી શકશે. 14મી જૂને ભગવાનની જળયાત્રા યોજાશે અને 1 જુલાઈના રોજ ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળશે.
2021માં ત્રણ કલાકમાં જ રથયાત્રાને સંપન્ન કરાઈ હતી
કોરોના મહામારીના કારણે ભગવાન જગન્નાથની 143મી રથયાત્રા મંદિરની બહાર કાઢવામાં આવી ન હતી. માત્ર મંદિર પરિસરની અંદર જ ત્રણેય રથને ફેરવી અને આખો દિવસ પરિસરમાં જ મૂકી રાખવામાં આવ્યા હતા. જ્યારે વર્ષ 2021માં ભગવાન જગન્નાથની 144મી રથયાત્રા નિકાળવામાં આવી હતી. પરંતુ રથયાત્રા ભક્તોને જવાની છૂટ આપવામાં આવી નહતી. આ રથયાત્રા માત્ર હાથી અને ત્રણ રથ સાથે પરંપરાગત રૂટ ઉપર નીકળી હતી. ત્રણ કલાકની અંદર જ રથયાત્રા મંદિર પરિસરમાં પરત ફરી હતી. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).