Home Uncategorized અંધ ભક્તોના સમાજ વચ્ચે “મહારાજ”ની જેમ નરાધમો બની બેઠા છે આચાર્યો, લાલજીઓ...

અંધ ભક્તોના સમાજ વચ્ચે “મહારાજ”ની જેમ નરાધમો બની બેઠા છે આચાર્યો, લાલજીઓ અને સાધુઓ !

Face Of Nation 22-06-2024 : મહારાજ. આ ફિલ્મ તાજેતરમાં બની અને તેને નેટફ્લિક્સ ઉપર પ્રસારિત કરવામાં આવી રહી છે. આ ફિલ્મને લઈને ગુજરાત હાઇકોર્ટમાં એક અરજી દાખલ કરી તેને પ્રસારિત કરવા સામે સ્ટે લેવામાં આવ્યો હતો જો કે બાદમાં કોર્ટે સ્ટે હટાવી લીધો અને આખરે ફિલ્મ પ્રસારિત થઇ. ફિલ્મમાં દર્શાવ્યા અનુસાર આજની વાસ્તવિકતા અને તે સમયની સત્ય હકીકત દર્શાવવામાં આવી છે. ધર્મનું ઓઢણું ઓઢીને નમાલા નરાધમ બની બેઠેલા આચાર્યો, લાલજીઓ અને કેટલાક સેક્સ ભૂખ્યા સાધુઓ તેમની વાસનાઓનો શિકાર અવારનવાર અનેક મહિલાઓને બનાવી રહ્યા છે. આ એક નગ્ન સત્ય છે પરંતુ આ સત્ય અંધ ભક્તોના સમાજ વચ્ચે દબાઈ રહ્યું છે. સંપ્રદાયોની આડશ લઈને વાસના સંતોષતા સાધુઓ નથી પણ શૈતાનો છે. જેઓને છુપાવવા કરતા જાહેર કરવા વધુ જરૂરી છે.
જ્યાં સુધી કોઈ કહેવાતા હરિ ભક્તની બહેન, દીકરી સાથે અઘટિત ઘટના ન બને ત્યાં સુધી નરાધમ બની બેઠેલા સંપ્રદાયોના આચાર્યો, લાલજીઓ અને સાધુઓ વિરુદ્ધ હરિ ભક્તની આંખો ઉઘડતી નથી તે આપણા સમાજની નબળાઈ છે. આ નબળાઈનો ફાયદો આચાર્ય, લાલજી કે સાધુના ઉપનામ લઈને બેઠેલા નરાધમો ઉઠાવી રહ્યા છે અને અંધ ભક્ત બની બેઠેલા લોકો આવા નરાધમોને પ્રોત્સાહન પૂરું પાડી રહ્યા છે. જે આચાર્ય, લાલજી કે સાધુઓ જાહેરમાં દેખાય છે તે બંધ રૂમમાં હોતા નથી. જે આચાર્ય અને લાલજીઓ સંસારનો ભોગ, વિલાસ, સેક્સ અને સેવા માણવામાં કશું જ બાકી રાખતા નથી તેવા આચાર્યો, લાલજીઓને અંધ હરિભક્તો ભગવાનના વંશજનું ઉપનામ આપીને તેમની ભક્તિ કરવામાં કોઈ કસર બાકી રાખતા નથી. આવા લોકો જાહેરમાં ઉપદેશો આપે છે અને બંધ રૂમમાં લીલાઓ કરે છે. આખરે ક્યાં સુધી આ નાટકો ચાલતા રહેશે તે એક મોટો સવાલ છે.
જો કોઈ પત્રકાર કે કોઈ સમાજસેવક આવા આચાયો, સાધુઓ કે લાલજીઓ વિરુદ્ધ કે ધર્મની આડમાં ચાલતા કારનામાઓ વિરુદ્ધ અવાજ ઉઠાવે તો તેને દબાવી દેવા માટે એડી ચોટીનું જોર લગાવવામાં આવે છે. આચાર્યો અને લાલજીઓ નેતાઓના પગમાં પડીને તેમની વિરુદ્ધ અવાજ ઉઠાવનારના અવાજને દાબી દેવાના અથાગ પ્રયાસો કરે છે અને આવા પ્રયાસોમાં સાથ આપવા માટે તેમના અંધ ભક્તો જ આગળ આવે છે. બસ, અહીંથી શરૂ થાય છે ધર્મનું પતન અને અધર્મની શરૂઆત.
ભારત દેશમાં આવા ઘણા સંપ્રદાયો છે કે જેમના ગાદીપતિઓ આચાર્યો અને લાલજીઓ બની બેઠા છે. આ નમાલા લોકો મહેનત કરીને ખાઈ શકતા નથી એટલે ધર્મના નામનું ઓઢણું ઓઢીને સેવામાં આવેલા પૈસાથી જાહોજલાલી અને ભોગ વિલાસ ભોગવે છે. અંધ હરિભક્તો કાળી મજૂરી કરીને પૈસા ભેગા કરે છે અને અધર્મનું ઓઢણું ઓઢીને બેઠેલા લોકો ભગવાનની સેવાના નામે તેમના પૈસા હડપ કરી જાય છે. દેશ દુનિયા અને સમાજમાં એવા ઘણા જરૂરિયાતમંદ લોકો છે કે જેઓને તમારી મદદની ખુબ જરૂરિયાત છે. આવા લોકોને કરેલી મદદ ઈશ્વરના આશીર્વાદ સમાન છે. ધર્મના નામે ઓઢણું ઓઢીને બેઠેલા લોકોને કોઈ જ દાન ધર્માદાની જરૂર નથી. જ્યાં સુધી અંધ ભક્તિ અટકશે નહિ ત્યાં સુધી આચાર્યો, લાલજીઓ અને તેમની વહુજીઓને મળી રહેલા વગર મહેનતના જલસા કોઈ કાળે કોઈ રોકી શકશે નહીં. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 પર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. ફેસબુકમાં faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).