Home Politics વિવાદની રાજનીતિ; ‘ગાંધી પરિવારે પક્ષનું નેતૃત્વ છોડીને અન્ય કોઈ નેતાને તક આપવી...

વિવાદની રાજનીતિ; ‘ગાંધી પરિવારે પક્ષનું નેતૃત્વ છોડીને અન્ય કોઈ નેતાને તક આપવી જોઈએ’ : કપિલ સિબ્બલ

Face Of Nation 15-03-2022 : પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસને કારમી હારનો સામનો કરવો પડ્યો છે. પૂર્વ કેન્દ્રીય મંત્રી કપિલ સિબ્બલના નિવેદનથી ફરી એકવાર કોંગ્રેસની અંદરનો વિખવાદ સામે આવ્યો છે. તેમણે કહ્યું કે ગાંધી પરિવારે પક્ષનું નેતૃત્વ છોડીને અન્ય કોઈ નેતાને તક આપવી જોઈએ. કપિલ સિબ્બલની આ ટિપ્પણી બાદ ગાંધી પરિવારના નેતૃત્વમાં માનનારા નેતાઓએ તેમના પર આકરા પ્રહારો કર્યા અને તેમના પર રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અને ભારતીય જનતા પાર્ટીની ભાષા બોલવાનો આરોપ લગાવ્યો. પાર્ટીના વરિષ્ઠ નેતા સિબ્બલે અંગ્રેજી અખબારને આપેલા ઈન્ટરવ્યુમાં કહ્યું છે કે, ગાંધી પરિવારે કોંગ્રેસ પાર્ટીના નેતૃત્વથી અલગ થઈને કોઈ બીજાને તક આપવી જોઈએ. કપિલ સિબ્બલે કહ્યું કે તેમને ‘ઘરના લોકોની કોંગ્રેસ’ નહીં, પરંતુ ‘બધા લોકોની કોંગ્રેસ’ જોઈએ છે. કોંગ્રેસના ‘G23’ જૂથના સભ્ય સિબ્બલે કોંગ્રેસ કાર્યકારી સમિતિ (CWC)ની બેઠકના બે દિવસ બાદ આ ટિપ્પણી કરી હતી. CWCની બેઠકમાં કોંગ્રેસના નેતાઓએ સોનિયા ગાંધીના નેતૃત્વમાં વિશ્વાસ વ્યક્ત કર્યો હતો અને કહ્યું હતું કે સંગઠનાત્મક ચૂંટણીઓ પૂર્ણ ન થાય ત્યાં સુધી તેમણે પદ પર ચાલુ યથાવત રહેવુ જોઈએ અને પક્ષને મજબૂત કરવા માટે જરૂરી પગલાં લેવા જોઈએ.
કોંગ્રેસના પ્રવક્તાએ સિબ્બલ પર સાધ્યું નિશાન
કોંગ્રેસના પ્રવક્તા પવન ખેરાએ સિબ્બલ પર પ્રહાર કરતા કહ્યું કે, આવા નેતાઓએ પાર્ટીના વર્તમાન નેતૃત્વ વિરુદ્ધ રોજેરોજ નિવેદનો કરવાને બદલે અધ્યક્ષ પદ માટે લડવું જોઈએ. ખેરાએ કહ્યું, જે લોકો કોંગ્રેસનું નેતૃત્વ કરવા માંગે છે તેઓ વર્તમાન નેતૃત્વ સામે દરરોજ બોલવાને બદલે પાર્ટી અધ્યક્ષ પદ માટે ચૂંટણી લડવા માટે સ્વતંત્ર છે.”
મણિકમ ટાગોરે કપિલ સિબ્બલ પર ટિપ્પણી કરી
લોકસભામાં કોંગ્રેસના મુખ્ય દંડક મણિકમ ટાગોરે સિબ્બલની ટિપ્પણી પર કટાક્ષ કર્યો હતો, તેમણે ટ્વીટ કર્યું, “આરએસએસ અને ભાજપ કેમ ઈચ્છે છે કે, નેહરુ-ગાંધીના નેતૃત્વથી અલગ થાય ? કારણ કે ગાંધી પરિવારના નેતૃત્વ વિના કોંગ્રેસ જનતા પાર્ટી બની જશે. આ રીતે કોંગ્રેસનો નાશ કરવો સરળ બનશે અને ફરીથી આઈડિયા ઓફ ઈન્ડિયાનો નાશ કરવો આસાન થઈ જશે. કપિલ સિબ્બલ આ વાત જાણે છે, પરંતુ તેઓ આરએસએસ અને ભાજપની ભાષા કેમ બોલી રહ્યા છે?
ગાંધી પરિવાર કોંગ્રેસનો પ્રાણ-રાગિણી નાયક
કોંગ્રેસના પ્રવક્તા રાગિણી નાયકે કહ્યું, “ગાંધી પરિવાર કોંગ્રેસનું પ્રાણ છે. ગાંધી પરિવારે પોતાના સંઘર્ષ અને લોહી અને પરસેવાથી અને નૈતિક મૂલ્યો વડે આ દેશનું નિર્માણ કર્યું છે. દરેક કોંગ્રેસ કાર્યકર્તા ગાંધી પરિવારના નેતૃત્વમાં પોતાને મજબૂત માને છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).