Home Uncategorized ભુપેન્દ્ર પટેલની સરકારમાં 4 ચોપડી પાસથી લઈ સ્નાતક સુધીના અભ્યાસવાળા મંત્રીઓ, આ...

ભુપેન્દ્ર પટેલની સરકારમાં 4 ચોપડી પાસથી લઈ સ્નાતક સુધીના અભ્યાસવાળા મંત્રીઓ, આ રહી તમામની પ્રોફાઈલ

Face Of Nation, 16-09-2021: ગુજરાતમાં આગામી વર્ષે યોજાનારી વિધાનસભા ચૂંટણી પહેલા રાજ્યમાં નાટ્યાત્મક રીતે નેતૃત્વ પરિવર્તન આવ્યું છે. વિજય રૂપાણીએ મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપ્યા બાદ ભૂપેન્દ્ર પટેલે નવા મુખ્યમંત્રી તરીકે શપથ લઈ લીધા છે. હવે નવનિયુક્ત મુખ્યમંત્રીના મંત્રી મંડળ માટે ધારાસભ્યો શપથ લઈ લીધા છે.

કુંવરજી બાળવિયાનું મંત્રી પદ જોખમમાં હોવાની વાત સામે આવ્યા બાદ કોળી સમાજ ભાજપની સામે પડ્યો હતો. કોળી સમાજે આ સંદર્ભે વડાપ્રધાન મોદીને પત્ર પણ લખ્યો હતો. આ સિવાય ચાણસ્માના ધારાસભ્ય દિલીપ ઠાકોરના સમર્થકોએ પણ હાઈવે પર ચક્કાજામ કરીને પોતાનો આક્રોશ ઠાલવ્યો હતો. આ કારણોસર ગઈકાલે નવા મંત્રી મંડળની શપથવિધિ પર રોક લગાવી દેવામાં આવી હતી. જે બાદ આજે નવા મંત્રીમંડળ માટે નવા ચહેરાઓને તક આપવામાં આવી છે.

રાજેન્દ્ર ત્રિવેદી
વડોદરાની રાવપુરા વિધાનસભા બેઠક પરથી ધારાસભ્ય રહેલા રાજેન્દ્ર ત્રિવેદી રૂપાણી સરકારમાં વિધાનસભાના સ્પીકર રહી ચૂક્યા છે. જો કે શપથવિધિ પહેલા જ તેમણે સ્પીકર પદેથી રાજીનામું આપી દીધુ છે. રાજેન્દ્ર ત્રિવેદીને 19 ફેબ્રુઆરી, 2018ના રોજ સ્પીકર બનાવવામાં આવ્યા હતા.

જીતુ વાઘાણી
ભાવનગર પશ્ચિમ બેઠક પરથી ધારાસભ્ય તરીકે ચૂંટાયેલા જીતુ વાઘાણી સૌરાષ્ટ્રના લેઉવા પાટીદાર છે. વાઘાણી LLB છે અને કંસ્ટ્રક્શનના ધંધા સાથે સંકળાયેલા છે. જીતુ વાઘાણી પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના વિશ્વાસુ મનાય છે. આ સિવાય PM મોદીના ખાસ કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલાના પણ નિકટના નેતાઓમાં સામેલ છે. જીતુ વાઘાણી ગુજરાત ભાજપના પ્રમુખ પણ રહી ચૂક્યા છે.

ઋષિકેશ પટેલ
ઋષિકેશ પટેલ વિસનગર બેઠક પરથી ધારાસભ્ય છે. તેઓ કડવા પાટીદારમાંથી આવે છે અને આ વિસ્તારમાં તેમની સારી એવી પકડ છે.

પૂર્ણેશ મોદી
સુરત વેસ્ટ બેઠક પરથી ધારાસભ્ય પદે ચૂંટાયેલા પૂર્ણેશ મોદીએ 2017ની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર ઈકબાલ પટેલને મોટા માર્જિનથી હરાવ્યા હતા.

નરેશ પટેલ
ગણદેવીથી સતત બે ટર્મથી ચૂંટાઈ આવતા નરેશ પટેલ સીઆર પાટીલની ખૂબ જ નજીકના માણસ મનાય છે. નરેશ પટેલની આદિવાસી સમાજ પર સારી પકડ છે અને તેઓ નવસારી જિલ્લા ભાજપના પ્રમુખ પણ રહી ચૂક્યાં છે.

દુષ્યંત પટેલ
ભરૂચ બેઠક પરથી ધારાસભ્ય તરીકે ચૂંટાયેલા દુષ્યંત પટેલ આનંદીબેન પટેલના ખાસ વિશ્વાસુ માનવામાં આવી રહ્યા છે. તેઓ ભરૂચ જિલ્લા ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ પણ છે. 2017માં દુષ્યંત પટેલે બેસ્ટ ધારાસભ્યનો એવોર્ડ જીત્યો હતો. જ્યારે 2021માં તેઓ ગુજરાત વિધાનસભામાં ગૌણ સમિતિના અધ્યક્ષ પણ રહી ચૂક્યાં છે.

કિરીટસિંહ રાણા
લિંબડી બેઠક પરથી ધારાસભ્ય તરીકે ચૂંટાયેલા કિરીટસિંહ રાણા પશુપાલન મંત્રી રહી ચૂક્યાં છે. લિંબડી વિસ્તારમાં તેમનું ભારે પ્રભુત્વ છે અને તેઓ બહોળો રાજકીય અનુભવ ધરાવે છે.

મુકેશ પટેલ
ઓલપાડ બેઠક પરથી ચૂંટાયેલા મુકેશ પટેલ પાટીદાર સમાજ પર સારુ પ્રભુત્વ ધરાવે છે. ઓલપાડ તાલુકા ભાજપ પ્રમુખ રહી ચૂકેલા મુકેશ પટેલે વિકાસના કામોને પ્રાધાન્ય આપ્યું છે. તેઓને ક્રિકેટ અને પ્રવાસનો શોખ છે.

જીતુ ચૌધરી
કપરાડા બેઠક પરથી ધારાસભ્ય તરીકે ચૂંટાયેલા જીતુ ચૌધરી કોંગ્રેસ છોડીને ભાજપમાં આવ્યા છે. તેઓએ ગ્રામ પંચાયતની ચૂંટણીથી પોતાની રાજકીય કારકીર્દીની શરૂઆત કરી હતી અને તેઓ વિકાસના કામોને પ્રાધાન્ય આપે છે.

બ્રિજેશ મેરજા
મોરબી બેઠકના ધારાસભ્ય બ્રિજેશ મેરજા કોંગ્રેસમાંથી ભાજપમાં ભળ્યા છે. સૌરાષ્ટ્ર કડવા પાટીદારોમાં તેમનું સારૂં એવું પ્રભુત્વ છે. મોરબી-માળીયા પંથકમાં તેમની સારી એવી લોકપ્રિયતા રહી છે.

રાઘવજી પટેલ
જામનગર ગ્રામ્ય બેઠક પરના ધારાસભ્ય રાઘવજી પટેલ કોંગ્રેસ સાથે છેડો ફાડીને ભાજપમાં આવ્યા છે. તેઓ ગ્રામ્ય, ગૃહનિર્માણ રાજ્યકક્ષાના મંત્રી રહ્યાં છે. આટલું જ નહીં, તેઓ અનેક સંસ્થાઓમાં સેવાકીય પ્રવૃતિ સાથે સંકળાયેલા છે.

પ્રદિપસિંહ પરમાર
અસારવા બેઠક પરથી ધારાસભ્ય તરીકે ચૂંટાયેલા પ્રદિપસિંહ પરમારની દલિત સમાજ પર સારી એવી પકડ છે. પ્રદિપસિંહ અનેક વ્યવસાયો સાથે સંકળાયેલા છે અને તેમણે પાયાના સ્તરેથી વિકાસના કામો કર્યા છે.

દેવા માલમ
કેશોદ બેઠકથી ચૂંટાયેલા દેવા માલમ કોળી સમાજના આગેવાન છે. 2 ટર્મથી જિલ્લા પંચાયતના સભ્ય પણ રહી ચૂક્યા છે. તેઓ મિલનસાર સ્વભાવ માટે જાણીતા છે અને કેશોદમાં લોકચાહના ધરાવનાર ધારાસભ્ય છે.

ગજેન્દ્રસિંહ પરમાર
પ્રાંતિજ-તાલોદના ધારાસભ્ય 2003 થી 2005 સુધી તલોદ યુવા મોરચાના મહામંત્રી તરીકે રહી ચૂક્યા છે. 2006થી 2008 સાબરકાંઠા યુવા મોરચાના ઉપપ્રમુખ રહી ચૂક્યા છે. જ્યારે 2009થી સાબરકાંઠા બક્ષીપંચ મોરચાના કોષાધ્યક્ષ પણ રહી ચૂક્યાં છે.
2000માં સ્થાનિક સ્વરાજની ચૂંટણી લડ્યા અને ઉજડીયા ગામના સરપંચ તરીકે પણ કામ કર્યું. ગજેન્દ્રસિંહે દૂધ મંડળીમાં પણ સેવા આપી છે. સાબરકાંઠા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના ચેરમેન પણ રહી ચૂક્યા છે.

અર્જુનસિંહ ચૌહાણ
મહેમદાબાદ બેઠક પરથી ધારાસભ્ય તરીકે ચૂંટાયેલા અર્જુનસિંહ રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના નેતાઓની નિકટ મનાય છે. તેઓ ખેડા જિલ્લા ભાજપના પ્રમુખ પણ રહ્યાં છે.

આરસી મકવાણા
મહુવા બેઠક પર 3 ટર્મથી ધારાસભ્ય રહેલા આરસી મકવાણા અમરેલી સંસદની ચૂંટણીમાં સતત 3 ટર્મથી ઈન્ચાર્જ તરીકે કાર્યરત છે. તેઓ ભાવનગર જિલ્લા પંચાયતના સભ્ય છે અને શિક્ષણ સમિતિના ચેરમેન પણ રહી ચૂક્યાં છે. તેમના ધર્મપત્ની પણ 2 ટર્મ સુધી ધારાસભ્ય તરીકે સેવા આપી ચૂક્યા છે.

જેવી કાકડિયા
ધારી વિધાનસભા બેઠક પરથી ચૂંટાયેલા જેવી કાકડિયા કોંગ્રેસ સાથે છેડો ફાડીને ભાજપમાં સામેલ થયા છે. અમરેલી જિલ્લામાં જેવી કાકડિયાનું સારું એવું પ્રભુત્વ રહેલું છે.

કુબેરસિંહ ડિંડોર
સંતરામપુર બેઠક પરથી ચૂંટાયેલા ધારાસભ્ય કુબેરસિંહ ડિંડોર એસોસિએટ પ્રોફેસર તરીકે કાર્યરત છે. કુબેરસિંહ વનવિકાસ નિગમમાં ચેરમેન પણ રહી ચૂક્યા છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)