Home News ઓમિક્રોને ચિંતા વધારી, PM મોદીની આજે મંત્રી પરિષદ સાથે મહત્વની બેઠક

ઓમિક્રોને ચિંતા વધારી, PM મોદીની આજે મંત્રી પરિષદ સાથે મહત્વની બેઠક

Face of Nation 29-12-2021: દેશમાં કોરોનાના નવા વેરિએન્ટ ઓમિક્રોનના વધતા કેસોએ લોકોની ચિંતા વધારી દીધી છે. આવામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બુધવારે એટલે કે આજે સાંજે 4 વાગે મંત્રી પરિષદની એક મહત્વની બેઠક બોલાવી છે. આ બેઠકમાં કોરોનાની સ્થિતિ પર ચર્ચા થઈ શકે છે. રિપોર્ટ મુજબ આ બેઠકમાં તમામ મંત્રીઓ સામેલ થાય તેવી શક્યતા છે. કહેવાય છે કે આ બેઠકમાં પીએમ મોદી મંત્રીઓ સાથે સરકારની યોજનાઓની સમીક્ષા કરશે.

અત્રે જણાવવાનું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગત ગુરુવારે પણ એક ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવી હતી. જેમા કોરોના મહામારીની સ્થિતિ પર ચર્ચા થઈ હતી. આ દરમિયાન પીએમએ અધિકારીઓને ઓમિક્રોન પ્રસાર વચ્ચે સતર્કતા જાળવી રાખવાના નિર્દેશ આપ્યા હતા. કેન્દ્રએ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને ઓમિક્રોન વેરિએન્ટ અંગે વધુ સાવધાની વર્તવાની અને કોરોના નિયમોનું પાલન કરવા માટે સલાહ આપી હતી.

આ અગાઉ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને મોકલવામાં આવેલી માર્ગદર્શિકાઓમાં એ વાતનો ઉલ્લેખ કરાયો છે કે ઓમિક્રોન વેરિએન્ટ ડેલ્ટા વેરિએન્ટની સરખામણીએ ઓછામાં ઓછો ત્રણ ગણો વધુ ઝડપથી ફેલાઈ રહ્યો છે અને રાજ્યોને પોતાના વોર રૂમને વધુ સક્રિય કરવા માટે જણાવાયું છે. એવું પણ કહેવાયું છે કે જો સુક્ષ્મ સ્તરે પણ ઉછાળો આવે તો તેનું સતત વિશ્લેષણ કરતા રહો. જિલ્લા અને સ્થાનિક સ્તરે રોકથામની કાર્યવાહીને વધુ કડક કરો. આ સાથે જ તુરંત કાર્યવાહી માટે પણ સાવચેત કરાયા છે.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે આજે જાહેર કરેલા આંકડા મુજબ દેશભરમાં ઓમિક્રોનના 781 કેસ નોંધાયા છે. ઓમિક્રોનના સૌથી વધુ કેસ રાજધાની દિલ્હીમાં નોંધાયેલા છે. અહીં સંક્રમિતોની સંખ્યા 238 થઈ છે. જેમાંથી 57 લોકો સાજા થયા છે. દિલ્હી બાદ સૌથી વધુ પ્રભાવિત રાજ્ય મહારાષ્ટ્ર છે જ્યાં ઓમિક્રોનના 167 કેસ નોંધાયા છે. જો કે રાજ્યમાં 72 લોકો સાજા પણ થયા છે. સૌથી વધુ ઓમિક્રોન પ્રભાવિત રાજ્યોમાં ગુજરાત ત્રીજા નંબરે છે. અહીં ઓમિક્રોનના 73 કેસ નોંધાયા છે. ત્યારબાદ કેરળમાં 65, તેલંગણામાં 62, રાજસ્થાનમાં 46, કર્ણાટકમાં 34, તમિલનાડુમાં 34, હરિયાણામાં 12, પશ્ચિમ બંગાળમાં 11, મધ્ય પ્રદેશમાં 9, ઓડિશામાં 8, આંધ્ર પ્રદેશમાં 6, ઉત્તરાખંડમાં 4, ચંડીગઢમાં 3, જમ્મુ અને કાશ્મીરમાં 3, ઉત્તર પ્રદેશમાં 2, ગોવા હિમાચલ પ્રદેશ અને લદાખ તથા મણિપુરમાં એક-એક ઓમિક્રોન કેસ નોંધાયા છે. કુલ 781માંથી 241 દર્દીઓ સાજા પણ થયા છે.

આરોગ્ય મંત્રાલયે આજે બહાર પાડેલા આંકડા મુજબ દેશમાં કોરોનાના કેસમાં ઉછાળો જોવા મળ્યો છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના 9195 કેસ નોંધાયા છે. હાલ દશમાં કોરોનાના 77002 દર્દીઓ સારવાર હેઠળ છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).