Home Uncategorized ભાજપે એક કાંકરે બે પક્ષી માર્યા : પાટીદારોની વોટબેંક મજબૂત કરી અને...

ભાજપે એક કાંકરે બે પક્ષી માર્યા : પાટીદારોની વોટબેંક મજબૂત કરી અને આનંદીબેનના વર્ચસ્વની શરૂઆત કરી

Face Of Nation, 12-09-2021: ભાજપે ગુજરાતના મુખ્યમંત્રી પદે ભુપેન્દ્ર પટેલની નિયુક્તિ કરી છે. જેમાં ભાજપે એક કાંકરે બે પક્ષી માર્યા છે. ઘાટલોડિયામાં સૌથી વધુ લીડથી જીતીને ધારાસભ્ય બનનાર ભુપેન્દ્ર પટેલ ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલના ખાસ માનવામાં આવે છે. ઘાટલોડિયાનું ધારાસભ્ય પદ પણ તેમને આનંદીબેનના કારણે મળ્યું હતું તેમ કહેવામાં કોઈ બે મત નથી. જો કે મુખ્યમંત્રી પદ આપીને ભાજપે ગુજરાતમાં આનંદિબેન પટેલના વર્ચસ્વની શરૂઆત કરી છે સાથે જ પાટીદારોની વોટબેંક મજબૂત કરી દીધી છે કેમ કે પાટીદાર સમાજમાં ભુપેન્દ્ર પટેલ નિર્વિવાદ વર્ચસ્વ ધરાવે છે. પાટીદારો ભુપેન્દ્ર પટેલને ખૂબ જ સન્માન આપે છે, તેઓ તેમના સ્વભાવના કારણે પાટીદારોના તમામ સમાજમાં લોકપ્રિય છે અને તેનું ઉત્તમ ઉદાહરણ ઘાટલોડિયામાં થયેલી તેમની જીત છે.

નરેન્દ્ર મોદી પ્રજાને આશ્ચર્યમાં મૂકી દે તેવા નિર્ણયો લેવામાં જાણીતા છે. ભુપેન્દ્ર પટેલને આનંદીબેન પટેલની ઘાટલોડિયા સીટ મળી હતી કેમ કે તેઓ બેનના ખૂબ જ વિશ્વાસુ અને નજીક મનાય છે. ભુપેન્દ્ર પટેલે ઘાટલોડિયા મત વિસ્તારમાં પાટીદાર અનામત આંદોલન બાદ પણ જંગી લીડથી જીત મેળવીને એવો સંદેશ આપી દીધો હતો કે તેઓ પાટીદાર સમાજમાં લોકપ્રિય છે. પાટીદાર સમાજની વોટબેંક મજબૂત કરવા માટે અને આનંદીબહેન પટેલના વર્ચસ્વની શરૂઆત કરવા માટે આ નિર્ણય અતિ મહત્વનો છે.

ભાજપે લીધેલો આ નિર્ણય આગામી સમયમાં પાટીદાર મતબેંકનો પૂરેપૂરો લાભ અપાવશે તેમ કહેવામાં કોઈ બે મત નથી કેમ કે પાટીદાર સમાજમાં ભુપેન્દ્ર પટેલની છાપ નિર્વિવાદી છે. તેઓ પાટીદારોના તમામ સમાજમાં સન્માનીય વર્ચસ્વ ધરાવે છે.

ભુપેન્દ્ર પટેલ આનંદીબેન પટેલના નેતૃત્વ સાથે સંકળાયેલા છે જેથી નેતૃત્વની પકડ અને નેતૃત્વની સમજ ખૂબ જ સારી છે. સૌને વિશ્વાસમાં અને સાથે લઈને ચાલવાની ભુપેન્દ્ર પટેલની એક સારી આવડત છે. જેના કારણે કોઈ પણ સમાજના લોકો તેમનો આદર અને સન્માન કરે છે. ભુપેન્દ્ર પટેલને ક્યારેય પ્રજા કરતા પદ મોટા લાગ્યા નથી. તેઓ ગ્રાઉન્ડ લેવલના નેતા છે અને સફળ નેતૃત્વમાંથી પસાર થયા છે.

ઉલ્લેખનીય છે કે અમદાવાદની ઘાટલોડિયા બેઠકના ધારાસભ્ય છે. તેઓ ભાજપના એક સાદગીભર્યા અને જમીની સ્તરના કાર્યકર છે અને આનંદીબેન પટેલના નજીકના ગણાય છે. ભૂપેન્દ્ર પટેલ ઔડાના ચેરમેન રહી ચુક્યા છે અને એએમસીના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પણ રહી ચુક્યા છે.

ગુજરાતના નવા મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્ર પટેલના નામની જાહેરાત બાદ વિજય રૂપાણીએ પોતાના સંબોધનમાં તેમને શુભકામનાઓ પાઠવી હતી. સાથે જ ભૂપેન્દ્રભાઈ એક સરળ અને સૌમ્ય વ્યક્તિ છે તેમ જણાવી તેમની કામગીરી વિશે ટૂંકો અહેવાલ આપ્યો હતો. વિજય રૂપાણીએ ભૂપેન્દ્રભાઈના નેતૃત્વમાં વડાપ્રધાનની વિકાસ યાત્રા સોળે કળાએ ખીલશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. સાથે જ ગુજરાતના મુખ્યમંત્રી પદને વિક્રમાદિત્યનું સિંહાસન ગણાવ્યું હતું.

ભૂપેન્દ્ર પટેલ 2017માં પ્રથમ વખત ધારાસભ્ય બન્યા હતા અને કડવા પાટીદાર સમાજમાંથી આવે છે. તેમણે ઘાટલોડિયામાં સૌથી વધારે લીડ સાથે વિજય મેળવ્યો હતો. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)